રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે 10મી મુદતે તમામ 15 આરોપીઓએ વકીલ રોકી દેતા હવે કેસની વધુ સુનાવણી આગામી 19 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. જયારે સ્પેશિયલ પી પી દ્વારા ડે ટુ ડે કેસ ચલાવવા કરેલ લલિત રજુઆત સામે જમીન માલિક આરોપી અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજા દ્વારા વાંધા અરજી રજૂ કરી આ અરજી રદ કરવા રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સાથે રાજકોટ અગ્નિકાંડના આરોપી ભીખા ઠેબાએ પણ ચાર્જશીટ બાદ જામીન પર છૂટવા અરજી કરી છે જે અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
25 મે, 2024ને શનિવાર હતો. શનિવારની એ સાંજ અને એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો હતો. તંત્રની બેદરકારીના કારણે 3-3 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમઝોનમાં એકાએક આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ કેસમાં 23.07.2024ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાયા બાદ અત્યાર સુધી 10 મુદત પૂર્ણ થઇ ચુકી છે અને 11મી મુદત 19.12.2024 આપવામાં આવી છે.