શહેરની ભાગોળે રહેતી ચાર સંતાનની માતા પર દિવાળીની રાત્રે તેના કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલા અને તેના પરિવારજનોને ભુજ બોલાવી ફરીથી શારીરિક અત્યાચાર કર્યો હતો. આરોપીની ધમકીથી ગભરાઇને મહિલાના પતિએ આપઘાત કરી લીધો હતો.
શહેરની ભાગોળે રહેતી 30 વર્ષની મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કૌટુંબિક દિયર શંકરનું નામ આપ્યું હતું. મહિલાઅે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ચાર સંતાન છે. ગત તા.5 સપ્ટેમ્બરના પોતે પોતાના ઘરે હતી ત્યારે તેનો કૌટુંબિક દિયર શંકર મહેમાન બનીને ઘરે આવ્યો હતો અને તે ખરાબ નજરે જોતો હતો. ત્યારબાદ તે અવારનવાર આવવા લાગ્યો હતો. એક દિવસ મહિલાનો પતિ ઘરે નહોતો ત્યારે શંકરે એકલતાનો ગેરલાભ ઉઠાવી મહિલાને અડપલાં કર્યા હતા. શંકર માથાભારે હોવાથી મહિલા ગભરાઇ ગઇ હતી અને આ અંગેની કોઇને જાણ કરી નહોતી. દિવાળીની રાત્રે ફરીથી શંકર ઘરે આવ્યો હતો ત્યારે મહિલાનો પતિ હાજર નહોતો. શંકરે છરી બતાવી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઇને ન કહેવા પણ ધમકી આપી હતી.