રાજકોટ મ્યુ. કોર્પોરેશનનું દ્વિમાસિક જનરલ બોર્ડ આજે મંગળવારે સવારે 11 કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મળશે. મ્યુ. કમિશ્નર હાલ રજા પર હોય, ડે.કમિશનર સ્વપ્નીલ ખરે ફરી ચૂંટાયેલી બોડીને પ્રશ્નોના જવાબ આપે તેવી શકયતા છે. આ બોર્ડમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 18 અને કોંગ્રેસના 2 કોર્પોરેટરે 6 પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં ભાજપના નગરસેવક મગનભાઇ સોરઠીયાના અમૃત મિશન યોજનાના કામો અને સરકારની ગ્રાન્ટના ઉપયોગ અંગેના સરકારી માહિતી જેવા પ્રશ્ર્નથી ચર્ચા શરૂ થવાની છે. કાલે જોગાનુજોગ મનપાનો સ્થાપના દિન છે.
આથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને તેના કરવેરાની આવકમાંથી પગાર લેતા અધિકારી પાસેથી માહિતી લેવાની તક છે. જોકે દર બોર્ડમાં એક પ્રશ્ર્નમાં સમય પૂરો થઇ જતો હોય છે. ત્યારે કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા થવાની શક્યતા ઓછી હોવાથી શાસક અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે.