સરકારના ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ અન્વયે ભૂગર્ભ જળના તળને રિચાર્જ કરવા માટે રાજકોટની 17થી પણ વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહો દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો તૈયાર કરવાનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 500, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (સી.એસ.આર) દ્વારા 500, જિલ્લા આયોજન ઓફિસ દ્વારા 150, ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસ, જી.આઇ.ડી.સી.(સી.એસ.આર.) દ્વારા 500, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 300, બિલ્ડર એસોસિએશન દ્વારા 500, એન.જી.ઓ.તથા પ્રાંત દ્વારા 250, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 700, રૂડા દ્વારા 250, આર.સી.એમ. દ્વારા 250 એમ અંદાજે 5263 જેટલા વોટર રૂફ ટોપ વોટર હાર્વેસ્ટિંગના કામો થશે. જેમાં હાલ, 1326 જેટલા સ્થળોએ આ કામનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેકવિધ નવીન સફળ પ્રકલ્પો હાથ ધર્યાં છે. સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ લાગુ કરવામાં આવ્યાં છે. સાથોસાથ જળ સંરક્ષણના નળ સે જળ સહિતના વિવિધ યોજનાના કામો થઇ રહ્યા છે. હયાત બોરવેલને રિચાર્જ કરી તથા નવા જળાશયોમાં વહી જતા વરસાદી પાણીને વહેતું કરી ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા રાષ્ટ્રીય કક્ષાએ પ્રારંભ થયેલા આ અભિયાનમાં વિવિધ આયોજનો હાથ ધરાયા છે.