રાજકોટ ઇન્ટરનેશન એરપોર્ટ ઉપર આજે સવારથી એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. વરસાદને કારણે ફ્લાઈટ લેઇટ થતા કલાકો સુધી એરપોર્ટ ટર્મિનલના વેઇટિંગ એરિયામાં બેસેલા મુસાફરો વિફર્યા હતા અને એર ઈન્ડિયાના સ્ટાફ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સવારે 8 વાગ્યાની ફ્લાઈટ 11 વાગ્યે ઉડાન ભરતા મુસાફરોનો રોષ આસમાને પહોંચી ગયો હતો. જેનાં દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, એર ઇન્ડિયાની AIC 659 A320-251 એરબસનો મુંબઈથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચવાનો સમય સવારે 7.55 વાગ્યાનો છે. જોકે, વરસાદને કારણે આ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ ઉપર 3 કલાક મોડી પહોંચી હતી. જેને લીધે 100 જેટલાં હવાઈ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને એર ઈન્ડિયાના સ્ટાફ સાથે રકઝક કરી હતી. ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ કલાકો સુધી એરપોર્ટ ઉપર બેસી રહેવું પડતા રોષે ભરાયા હતા.