રાજકોટનાં સોરઠિયાવાડી પાસે પેટ્રોલ પંપની પાછળ મનપા દ્વારા કરોડોનાં ખર્ચે વીર તાત્યા ટોપે આવાસ પોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસ યોજનાનું ગત તા. 12-5-2023ના રોજ PM મોદીની વર્ચ્યુલ હાજરી વચ્ચે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જોકે, લાભાર્થીઓ ગૃહ પ્રવેશ કરે તે પૂર્વે જ આવાસ ખંઢેર બની ગયું છે. કોઈ અજાણ્યા શખ્સોએ A વિંગની વિવિધ બારીઓ ઉપર પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ અહીં ઠેર-ઠેર તિરાડો પડી હોવાનું ખુલ્યું છે. ત્યારે હવે ગરીબોને પોતાના ઘર રહેવાલાયક મળશે કે નહિ તે સવાલ ઉદભવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગત મુજબ, સોરઠીયાવાડીની વીર તાત્યા ટોપે નામે આવાસ યોજનામાં બે સિક્યુરિટી ગાર્ડ છે. આમ છતાં અજાણ્યા શખ્સો દ્વારા આવાસની A વિંગની બારીનાં કાંચ ફોડી નાખવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં જ બનેલા આવસોમાં ઊઘઈ થવા લાગતા અને આવાસમાં તિરાડો પડવા લાગતાં કોન્ટ્રાક્ટરો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એકતરફ સરકાર લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કરોડોનાં ખર્ચે આવાસનું નિર્માણ કરે છે. બીજીતરફ તેની જાળવણીમાં ક્યાંકને ક્યાંક તંત્ર બેદરકાર રહેતું હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.