રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ મંચ પરથી આપવા માટે મહાનગરપાલિકા દ્વારા કાલે તા.27 શુક્રવારના રોજ સવારે 9 કલાકે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે મનપા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે. જેનું દીપ પ્રાગટ્ય સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે અને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને કરાશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમને બનાસકાંઠાથી સવારે 10 કલાકે વર્ચ્યુઅલી જોડાઈ, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કરશે. રાજકોટનાં ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય, કીટ, લાભ વિતરણ કરવામાં આવશે. જેમાં 1623 જેટલા લાભાર્થીઓને રૂ.2.57 કરોડની સહાય, કીટ, લાભ વિતરણ કરવામાં આવશે.