સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર પ્રવીણ રાઉત સહિત કુલ 10 ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. લાજપોર જેલમાં બંધ આ આરોપીઓ સ્થાનિક હોવાના કારણે બહાર રહેલા પોતાના સંપર્કો અને નેટવર્કનો દુરુપયોગ કરી અંદરથી જ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. જેલની આંતરિક શિસ્ત, સલામતી જળવાઈ રહે અને સુરત શહેર તેમજ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે માટે કોર્ટની પૂર્વ મંજૂરી મેળવીને આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
પ્રવીણ રાઉત સહિતના નામી ગુનેગારોની યાદી જેલ બદલી કરાયેલા મુખ્ય કેદીઓમાં કુખ્યાત ગેંગસ્ટર પ્રવીણ ઉર્ફે દીપક દશરથભાઈ રાઉત, અનીશ ઉર્ફે અન્નુ પઠાણ, જોયેબ ઉર્ફે જુહેબ ઝિયાઉદ્દીન અંસારી, વિકાસ ઉર્ફે વિક્કી અરુણ આહીરે, નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્રભાઈ સીંગવન તથા અન્ય 5 ગુનેગારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર પ્રવીણ રાઉત સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ખંડણી સહિતના 23થી વધુ ગુના નોંધાયેલા છે. વર્ષ 2016માં પેરોલ જમ્પ કરી ફરાર થયેલા રાઉતને ક્રાઈમ બ્રાન્ચે બિહારથી ‘ઓપરેશન ઘોસ્ટ’ હેઠળ ઝડપી પાડ્યો હતો.
સતીશ મરાઠા હત્યાકાંડના આરોપીઓ સહિત વધુ 20ની બદલીની તૈયારી લાજપોર જેલ પ્રશાસન દ્વારા માત્ર આ 10 આરોપીઓ જ નહીં, પરંતુ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા અન્ય 20થી વધુ કેદીઓને પણ અન્ય જેલોમાં ખસેડવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. આ યાદીમાં સુરતના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડમાં સામેલ આરોપીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની જેલ બદલી માટે સંબંધિત અદાલતમાંથી કાયદેસરની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે પૂર્ણ થતાં જ તમામને અન્ય જેલોમાં રવાના કરાશે.
જેલની શિસ્ત અને સુરક્ષા માટે સઘન ચેકિંગ ઝુંબેશ લાજપોર મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા જેલ વહીવટ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેલની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રહે તે માટે બેરેકોમાં સતત આકસ્મિક ઝડતી અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. ગુનાહિત માનસિકતા ધરાવતા અને જેલમાંથી નેટવર્ક ચલાવવાનો પ્રયાસ કરતા કેદીઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.