ભાજપના નેતા અને RSS લીડર રામ માધવના અમેરિકા સાથે ભારતના સંબંધો પરના નિવેદનને લઈને વિવાદ થયો છે. માધવે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતે અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે શું નથી કર્યું.
તેમણે કહ્યું, ‘ભારતે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કર્યું, રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવા સંમતિ દર્શાવી અને અમેરિકી ટેરિફનો પણ વિરોધ કર્યો નહીં. તો પછી આખરે ભારત અમેરિકા સાથે કામ કરવામાં ક્યાં ખોટું કરી રહ્યું છે?’
જોકે, વિપક્ષની ટીકા બાદ રામ માધવે માફી માંગી લીધી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુક્રવારે લખ્યું, ‘ભારતે ક્યારેય રશિયા પાસેથી ઓઈલ આયાત રોકવા પર સંમતિ આપી નથી. સાથે જ, 50% ટેરિફ લગાવવાનો પણ તેણે જોરદાર વિરોધ કર્યો.’
કોંગ્રેસે રામ માધવના નિવેદનને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે માધવના નિવેદનથી સ્પષ્ટ છે કે મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા માટે ભારતના હિતો સાથે સમાધાન કર્યું.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મોદી તે જ કરે છે, જે ટ્રમ્પ ઇચ્છે છે. મોદી ટ્રમ્પની કઠપૂતળી છે. આ જ કારણ છે કે ટ્રમ્પ ભારતને નરક કહી દે છે અને મોદીની કંઈ કહેવાની હિંમત થતી નથી. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે બાંધછોડ કરી છે અને આ વાતનો ભોગ દેશ બની રહ્યો છે.’