રાજકોટ શહેરમાં મામુલી વરસાદે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોવાની ફરિયાદો વધી રહી છે. જેને લઈને મનપા કમિશનર દેવાંગ દેસાઈ સહિતના અધિકારીઓ આજે ચાલુ વરસાદે ફિલ્ડમાં ઉતર્યા હતા. વરસાદ દરમિયાન મનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે થઈ રહેલી કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું હતું. ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી આખા શહેરની સ્થિતિ અંગે માહિતી મેળવી આવશ્યકતા અનુસાર સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ તકે નાયબ કમિશનર નંદાણી તેમજ સ્વપ્નિલ ખરે સહિત વિવિધ ઝોનના સિટી એન્જિનિયરો પણ સતત હાજર રહ્યા હતા.
મનપા કમિશનર દેવાંગ દેસાઈએ આજી જીઆઇડીસી, 150 ફૂટ રિંગરોડ પર ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત તેમણે નાનામૌવા ચોક ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં બેસીને CCTV કેમેરાના માધ્યમથી શહેરનાં વિવિધ વિસ્તારોની ચકાસણી કરી હતી. શહેરમાં રેડ-યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમા જો વરસાદી પાણી ભરાયાનું જાણમાં આવે તો નાગરિકોની ફરિયાદની રાહ જોયા વિના જ ત્વરિત પાણીના નિકાલ માટેની કામગીરી આગળ વધારવાની સૂચના પણ મ્યુ. કમિશનરે આપી હતી.