રાજકોટમાં 3 અલગ-અલગ આપઘાતના બનાવ

રાજકોટ નજીક આવેલા ગૌરીદડ ગામના વાડી વિસ્તારમાં રહેતી ભાવનાબેન રાજેશભાઈ નાયકા નામની 29 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર વાડીએ જીવજંતુ મારવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર ઝેરી અસર થતાં પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક પરિણીતા મૂળ છોટાઉદેપુરની વતની હતી અને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી ધરાવે છે. પરિવાર છેલ્લા ત્રણેક મહિનાથી અહીં વાડીમાં રહીને ખેતમજૂરી કરતો હતો. પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પતિ અજાણ હોવાથી કુવાડવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કામધંધો ન મળતાં હતાશ 25 વર્ષીય યુવકે ફિનાઇલ પી લીધું રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસનો બીજો બનાવ કાલાવડ રોડ પર બન્યો હતો. સયાજી હોટેલ પાસે આવેલા ચાર માળિયા ક્વાર્ટરમાં રહેતા આશીષ ભીખુભાઈ રાઠોડ નામના 25 વર્ષીય યુવાને લાંબા સમયથી કામધંધો ન મળતાં માનસિક હતાશામાં આવી મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધું હતું. ફિનાઇલ ગટગટાવી લેતાં યુવકને ગંભીર ઝેરી અસર થઈ હતી, જેથી તેને તાબડતોબ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મોબાઈલ રમવા બાબતે પિતાએ ઠપકો આપતાં 14 વર્ષના સગીરે ઝેર પીધું આપઘાતના પ્રયાસની ત્રીજી ઘટનામાં લોધિકા તાલુકાના તરવડા હરીપર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના 14 વર્ષીય સગીરે વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં સગીરને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પરિવાર પણ મૂળ છોટાઉદેપુરનો વતની છે. સગીર સતત મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ રહેતો હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાનું માઠું લાગી આવતાં આવેશમાં આવી સગીરે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવતાં પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ આગળ ધપાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *