રાજકોટ જિલ્લામાં કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની મિલકતોના સર્વે અને વેલ્યુએશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કુલ 139 એનિમી પ્રોપર્ટીમાંથી 54 મિલકતો ‘હિજરતી’ (સ્થળાંતરિત) હોવાનું સામે આવ્યું છે. આ 54 મિલકતોનો એનિમી પ્રોપર્ટીમાં સમાવેશ ન કરવા અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મુંબઈ સ્થિત ‘કસ્ટોડિયન ઓફ ઈન્ડિયા’ની કચેરીને દરખાસ્ત કરવામાં આવશે.
એનિમી પ્રોપર્ટી એટલે શું? ભારત-પાકિસ્તાનના ભાગલા અથવા 1965ના યુદ્ધ બાદ જે લોકો ભારત છોડીને પાકિસ્તાનના નાગરિક બન્યા હતા, તેમની ભારતમાં રહેલી જમીન કે મિલકતોને ‘એનિમી પ્રોપર્ટી’ (શત્રુ સંપત્તિ) જાહેર કરી કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હેઠળ આવરી લેવામાં આવી છે.
ભાગલા સમયે ભારત છોડી પાકિસ્તાન ગયેલા વ્યક્તિઓ જે મિલકતો પાછળ છોડી ગયા હતા તે ‘હિજરતી મિલકતો’ તરીકે ઓળખાય છે.
મુંબઈની કસ્ટોડિયન ઓફ ઈન્ડિયા કચેરીની ટીમે રાજકોટ જિલ્લા જમીન દફતર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીના સર્વેયરો સાથે મળીને આ મિલકતોની ચકાસણી અને મૂલ્યાંકન (Valuation) પૂર્ણ કર્યું હતું. આ મિલકતોમાં મુખ્યત્વે ખેતીની જમીનો અને રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે.