રાજકોટના જામનગર રોડ પર પડધરી પાસે 30 એકર જગ્યામાં રૂપિયા 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. જેમાં 5,100 નિરાધાર, નિ:સંતાન અને બીમાર વડીલોને આશ્રય આપવામાં આવશે, ત્યારે તેના લાભાર્થે શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારી બાપુની રામકથા આજે સંપન્ન થઈ હતી, ત્યારે આ રામકથામાં 60 કરોડનું દાન એકત્ર થયું હોવાનું સદભાવના વૃદ્ધાશ્રમના મોભી વિજય ડોબરીયાએ જાહેર કર્યું હતું. જોકે, ભૂમિ પૂજન વખતે 60 કરોડ એકત્ર થયાનું જણાવ્યું હતું એટલે કે અત્યાર સુધીમાં કુલ 120 કરોડનું દાન પ્રાપ્ત થયું છે.
આ રામકથામાં મોરારિ બાપુએ 3 કરોડનું તુલસી પત્ર આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તો ભાઈએ 5 લાખનું દાન આપ્યું હતું. આજે પૂર્ણાહૂતિ વખતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વ્રજરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમમે મોરારિ બાપુને કૃષ્ણ કથા યોજવા માટે વિનય કર્યો હતો તો ઋષિકેશથી પધારેલા ચિદાનંદ સરસ્વતી મહારાજે વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં માય વે અથવા નો વે છે, જ્યારે ભારતીય સંસ્કૃતિમાં અન્ય લોકોનું કલ્યાણ કરવા માટેની ભાવના છે. સમગ્ર રામકથાના આયોજન માટે 3,000 સ્વયંસેવકોની ટીમ ખડે પગે રહી હતી, ત્યારે આજે સૌથી નાનો સાત વર્ષની ઉંમરનો સ્વયંસેવક શૌર્ય કાકરેચા કે જેને આ કથા માટે 100થી વધુ વીડિયો બનાવ્યા. નાનપણથી જ વડીલોની સેવા અને વૃક્ષોના જતન માટેનો સંદેશો આપતા આ બાળકે હનુમાન ચાલીસાનો ગુજરાતી અર્થ કંઠસ્થ કરેલો છે.