મુંબઈના યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં રાજકોટ મંડળે (ડિવિઝન) પોતાની શ્રેષ્ઠ કાર્યક્ષમતાના આધારે ભવ્ય સફળતા હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેના હસ્તે રાજકોટ મંડળને કુલ 4 પ્રતિષ્ઠિત મહાપ્રબંધક શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ રાજકોટ મંડળની વહીવટી કુશળતા અને મુસાફર સુવિધાઓ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો આપે છે
ખાસ કરીને રાજકોટ મંડળના વાણિજ્ય વિભાગે આ વર્ષે બે મહત્વપૂર્ણ શીલ્ડ પ્રાપ્ત કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. જેમાં મુસાફરોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે સતત બીજા વર્ષે મેળવેલી ‘રેલ મદદ શીલ્ડ’ અને રેલવે સ્ટેશનો પર ઉચ્ચ કક્ષાની સફાઈ જાળવવા બદલ ‘કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડ’નો સમાવેશ થાય છે. આ સફળતા પાછળ મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાનું માર્ગદર્શન અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાની કાર્યશૈલી મુખ્ય રહી છે.
રેલ મદદ શીલ્ડ’ અંગે વાત કરીએ તો, રાજકોટ મંડળ સમગ્ર પશ્ચિમ રેલવેમાં ફરિયાદોના નિવારણ માટે લેવામાં આવતા લઘુત્તમ સમય અને સંતોષકારક પ્રતિસાદમાં મોખરે રહ્યું છે. બીજી તરફ, સ્વચ્છ ભારત અભિયાનના મંત્રને સાર્થક કરતા સ્ટેશન પરિસરો અને પ્લેટફોર્મ પર સફાઈની અત્યાધુનિક પદ્ધતિઓ અને હાઉસકીપિંગ સ્ટાફના કુશળ મેનેજમેન્ટને કારણે ‘ક્લીનલીનેસ શીલ્ડ’ હાંસલ થયું છે. સુનીલ કુમાર મીનાના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગે ટેકનોલોજી અને માનવ સંસાધનનો શ્રેષ્ઠ સમન્વય સાધી મુસાફર સેવાઓના સ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.