મનપાની ચૂંટણીમાં હાર બાદ પણ લોકોની સેવા ચાલુ

સામાન્ય રીતે ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી રાજકીય પક્ષોના ઉમેદવારો નિરાશ થઈને પ્રજાની વચ્ચેથી ગાયબ થઈ જતા હોય છે અથવા શાંત બેસી જતા હોય છે. પરંતુ રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ પરાજયને હાર તરીકે સ્વીકારવાને બદલે તેને પ્રજાની સેવા માટેનું એક નવું માધ્યમ બનાવી દીધું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં પરાજય છતાં, તેમણે ઉપલકાંઠા વિસ્તારના સામાન્ય અને ગરીબ નાગરિકોની સુવિધા માટે ‘જનસંપર્ક કાર્યાલય’ શરૂ કર્યું છે.

કાર્યાલય લોકો-સરકારી તંત્ર વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનશે રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, પ્રજાની સેવા કરવા માટે સત્તા કે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી, માત્ર મનની અંદર સેવા કરવાનો સાચો ભાવ હોવો જોઈએ.ચૂંટણીમાં હાર-જીત એ લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે અને તેઓ જનતાના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારે છે. ચૂંટણી પૂરી થવાથી પ્રજા પ્રત્યેની જવાબદારીઓ પૂરી થઈ જતી નથી. રાજકોટની જનતાએ આ ચૂંટણીમાં તેમને 11918 મતો આપવાની સાથે જે અદભુત પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે, તેનાથી તેઓ આજીવન ઋણી રહેશે. આ નવું શરૂ કરાયેલું કાર્યાલય સામાન્ય લોકો અને સરકારી તંત્ર વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને કાર્ય કરશે, જેથી વચેટિયાઓ દ્વારા થતી આર્થિક લૂંટ, લાંચ-રૂશ્વત કે હેરાનગતિ બંધ કરી શકાય.

આજના ડિજિટલ યુગમાં સરકારની મોટાભાગની યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે, જેના કારણે અનેક અભણ કે અર્ધશિક્ષિત નાગરિકો ફોર્મ ભરવામાં કે ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સમર્પણ પાર્ટી પ્લોટ નજીક શરૂ કરાયેલા આ કાર્યાલયનો સમય ખાસ રાત્રિનો એટલે કે રોજ સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી નોકરીયાત અને મધ્યમ વર્ગના લોકો દિવસ દરમિયાન પોતાની મજૂરી કે નોકરી પૂરી કરીને અહીં આવી શકે. આ કાર્યાલય કોઈપણ પક્ષભેદ કે જ્ઞાતિભેદ રાખ્યા વગર તમામ નાગરિકો માટે સમાન ભાવે ખુલ્લું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *