ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યુ છે અને નવા સંગઠનની રચના માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. વોર્ડ પ્રમુખ માટેની દાવેદારી રવિવારે પૂરી થઇ ગઇ છે ત્યાં જ પાંચ દિવસ માટે સંગઠન પર્વને સ્થગિત કરવાની જાહેરાત થતાં કાર્યકરોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. જોકે સંગઠનના માપદંડમાં નવા મંડલ અને જિલ્લાનો સમાવેશ થઇ જાય અને તે મુજબ નવી રચના થાય તે માટે જ માત્ર પાંચ દિવસ માટે પર્વ સ્થગિત કરાયું હોવાનું ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન પર્વના મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત પ્રદેશમાં સંગઠનના દૃષ્ટિકોણથી 41 જિલ્લા અને 580 મંડલ છે. રાજ્ય સરકારે કેટલાક મહિના પૂર્વે પોરબંદર અને મોરબી સહિતની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છેે. જેથી ભાજપના સંગઠનમાં પણ મંડલ અને જિલ્લા પ્રમુખોની સંખ્યા વધશે, નવી બનેલી મહાનગરપાલિકામાં હવે મંડલની સંખ્યા વધશે સાથે સાથે જિલ્લાની સંખ્યા પણ વધશે.