સૌરાષ્ટ્રની આશરે 50 જેટલી બી.એડ કોલેજોએ છેલ્લા બે વર્ષનો વિદ્યાર્થીઓની સંખ્યાનો ડેટા, પ્રોફેસરોની વિગતો, કોલેજના સ્થળના પુરાવા, લેબોરેટરી-લાઇબ્રેરી સહિતના ફોટા, ઓડિટ રિપોર્ટ સહિતની 20થી વધુ બાબતોનો ડેટા NCTEમાં રજૂ કરવા આદેશ કરાયો છે.
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને દેશભરની 15 હજારથી વધુ સંસ્થાઓમાં વર્ગખંડમાં શિક્ષણ, શિક્ષકોની નિમણૂક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ-લાઇબ્રેરીની સ્થિતિ વિશે સચોટ માહિતી મેળવવા માટે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. બી.એડ કોલેજોએ NCTE વેબસાઇટ https://ncte.gov.in પર શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલો (PARs) સબમિટ કરવા આદેશ કરાયો છે. આ રિપોર્ટ 10 નવેમ્બર સુધીમાં સબમિટ કરવા જણાવાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એવી ઘણી બી.એડ કોલેજો ધમધમે છે જે માત્ર નામ પૂરતી ચાલે છે. જ્યાં વિદ્યાર્થીઓ કોલેજ ન આવે તો પણ ચાલે છે, ઘેરબેઠા બી.એડ કરાવનારી કોલેજોની સંખ્યા વધતા એનસીટીએ પરફોર્મન્સ રિપોર્ટ મગાવ્યો છે. NCTE એ વધુ કડક વ્યવસ્થા કરી છે અને કહ્યું છે કે, દરેક સંસ્થાએ એપ દ્વારા સમય અને તારીખ સાથે વર્ગખંડના શિક્ષણના વીડિયો, ફોટા, લેબ અને લાઇબ્રેરીના ફોટા અપલોડ કરવાના રહેશે.