અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. જેમાં બોપલ-ઘુમા વિસ્તારમાં ભારે પાણી ભરાતાં લોકોના ઘરો સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા. આવી કપરી સ્થિતિમાં ઘુમાની સુરધારા સોસાયટીમાં રહેતા એક ગૌપ્રેમી પરિવારે પોતાના જીવની સાથે ગાયોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને 3 ગાયોને બંગલાના પહેલા માળે આવેલા ગેસ્ટ રૂમમાં શિફ્ટ કરી હતી. પાણી ઓસર્યા બાદ ડરી ગયેલી ગાયો નીચે ન ઉતરતાં આખરે ફાયર બ્રિગેડના 15 જવાનોએ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણેય ગાયોને સલામત નીચે ઉતારી હતી.
પાણી ભરાતાં 15 સીડી ચડાવીને ગાયોને ગેસ્ટ રૂમમાં રાખવામાં આવી ઘુમા વિસ્તારમાં રહેતા રાજનભાઈ ભટ્ટે બે વર્ષ પહેલાં આંધ્રપ્રદેશથી પુગનુર પ્રજાતિની બેથી અઢી ફૂટ ઊંચાઈ ધરાવતી ગાયો લાવીને પોતાના બંગલાની બાજુના પ્લોટમાં ગૌશાળા બનાવી હતી. ગુરુવારે રાત્રે અતિભારે વરસાદના કારણે ગૌશાળામાં પાણી ભરાઈ જતાં રાજનભાઈ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ત્રણેય ગાયોને પોતાના ઘરમાં લાવી ગયા હતા પરંતુ, ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થતાં રાજનભાઈ અને તેમના પરિવારે ગાયોને કોઈ તકલીફ ન પડે તે માટે 15 જેટલી સીડીઓ ચડાવીને બંગલાના પ્રથમ માળે આવેલા ગેસ્ટ રૂમમાં પહોંચાડી હતી. ગાયો માટે ચારો અને અન્ય સામાન પણ ઉપર જ ખસેડી દેવામાં આવ્યો હતો.
પાણી ઓસર્યા બાદ પણ નીચે ઊતરવામાં ગાયોને ડર બેસી ગયો વરસાદ રોકાઈ ગયા બાદ અને પાણી ઓસરવાનું શરૂ થતાં જ રાજનભાઈના પરિવારે ગાયોને ફરી નીચે ગૌશાળામાં ઉતારવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, ગાયો નાની અને ભારે ડરી ગઈ હોવાને કારણે સીડી પરથી નીચે ઊતરતી જ નહોતી. વિશિષ્ટ પ્રજાતિની આ ગાયોની ઊંચાઈ ભલે અઢી ફૂટ હોય પરંતુ વજન આશરે 150 કિલો જેટલું હોવાથી તેને એમ જ ઊંચકીને નીચે લાવવી શક્ય નહોતી.
અમદાવાદ ફાયર બ્રિગેડે કાર્પેટ પાથરીને સફળ રેસ્ક્યુ હાથ ધર્યું આખરે કંટાળીને અને ગાયોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજનભાઈએ ફાયર બ્રિગેડની મદદ માગી હતી. કોલ મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને 15 જેટલા જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર જવાનોએ ગાયો લપસી કે વાગી ન જાય તે માટે સીડીઓ પર કાર્પેટ પાથરીને ખૂબ જ કાળજીપૂર્વક ધીમે-ધીમે ત્રણેય ગાયોને પહેલા માળેથી નીચે ઉતારીને ગૌશાળામાં પહોંચાડી હતી. ફાયર બ્રિગેડની આ પ્રશંસનીય અને માનવતાવાદી કામગીરી બદલ રાજનભાઈ અને તેમના પરિવારે ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.