રાજકોટમાં રાત્રિના સમયે દારૂના નશામાં યુવકને ફોન કરી ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે પગલાં ન લેવાતાં મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે રાજકોટ શહેર પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
દારૂના નશામાં કોન્સ્ટેબલનો સત્તાનો દુરુપયોગ રાજકોટના મવડી રોડ પર આવેલા ન્યૂ માયાણીનગરમાં રહેતા સ્મિત કિશોરભાઈ સખીયાને તા. 24 જૂન, 2026ની મોડી રાત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલા દ્વારા 35 જેટલા ફોન કરવામાં આવ્યા હતા. દારૂના નશામાં કોન્સ્ટેબલે યુવકને ધમકી આપતા જણાવ્યું હતું કે, ‘તું ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવ, તું મને ઓળખતો નથી, નોકરી મૂકી દઉં અને 302 (હત્યા) કરી નાખું.’ “રેકોર્ડિંગ થતું હોય તો કરીને વાઇરલ કરી દેજે, મને કંઈ ફેર પડતો નથી, હું સિસ્ટમ હેઠળ નથી પણ સિસ્ટમ મારી પાસે છે.’
આ ઘટના બાદ અરજદારે 24 જૂનના કૉલ રેકોર્ડિંગ અને ઈલેક્ટ્રોનિક પૂરાવા સાથે તા. 10 જુલાઈ, 2026ના રોજ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.
હાઈકોર્ટની લાલ આંખ અને હુકમ પોલીસ કમિશનર અને સ્થળ તંત્ર દ્વારા કોઈ આકરાં પગલાં ન લેવાતાં, સ્મિત સખીયાએ એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, જો કાયદાના રક્ષક ગણાતા રાજ્ય સેવક જ આવું વર્તન કરશે તો સામાન્ય જનતાએ ન્યાય માટે ક્યાં જવું. તમામ પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ, હાઈકોર્ટે અરજદારની તા. 10 જુલાઈ, 2026ની લેખિત રજૂઆતના આધારે આરોપી કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા સામે તાત્કાલિક યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશનરને આદેશ ફરમાવ્યો છે.