પડોશી દેશ પાકિસ્તાનમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. શાહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન રાજધાની ઇસ્લામાબાદને કન્ટેનરોથી સીલ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તખ્તાપલટની ડોર સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના હાથમાં છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફની ખુરશી ડગમગી રહી છે કારણ કે તેમના પોતાના જ ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રાવલપિંડીમાં આ તખ્તાપલટનો બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ચૂક્યો છે.
પાકિસ્તાનની શાસન વ્યવસ્થાના ‘ધ્વસ્ત’ થવા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યાના થોડા જ દિવસો પછી, ગૃહમંત્રી મોહસિન નકવીએ હવે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના ઇતિહાસના ‘સૌથી મોટા કૌભાંડ’નો પર્દાફાશ કરવાનો દાવો કરતા, નકવીએ કહ્યું કે તેમાં ન્યાયાધીશોથી લઈને રાજકારણીઓ સુધી, સરકારી તંત્રના ઘણા મહત્વપૂર્ણ ભાગો સામેલ છે. જોકે નકવીએ તે લોકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ તેમના સતત સનસનાટીભર્યા નિવેદનોએ આ અટકળોને તેજ કરી દીધી છે કે શું પાકિસ્તાનનમાં સત્તા પરિવર્તન થવાનું છે.
પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરના નજીકના મનાતા નકવીએ ભારપૂર્વક કહ્યું કે આ કૌભાંડ માટે જવાબદાર દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નકવીએ પત્રકારોને કહ્યું, “મને નથી લાગતું કે પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યારેય આટલું મોટું કૌભાંડ થયું હોય, જેમાં ન્યાયાધીશ, રાજકારણી અને બેંકર બધા સામેલ હોય.”