નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના યોજના હેઠળ ધો- 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ રૂ.25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડ 46 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓને 11 અને 12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થશે.
ધો.11માં વિદ્યાર્થી દીઠ રૂ.10 હજાર, ધો.12માં રૂ.15 હજાર મળે છે આ યોજના હેઠળ ધોરણ 11 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.15,000ની સહાય આપવામાં આવે છે. આમ, બે વર્ષો દરમિયાન વિદ્યાર્થી દીઠ કુલ રૂ.25,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય પૈકી, ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે માસિક રૂ.1000 મુજબ વાર્ષિક રૂ.10,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ રૂ.20,000 ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના રૂ.5000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળે છે.