દુબઈમાં સોમવારે થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જેમાં કેટલાક ભારતીય શ્રમિકો પણ સામેલ છે. આ શ્રમિકો એક મિનીબસમાં સવાર હતા. આ મિનીબસ અચાનક સામે ઉભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મિનીબસના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. મિનીબસમાં સવાર કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય 9 લોકો ઘાયલ થયા છે, જેમાં પાંચની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે થયો અકસ્માત? દુબઈ: સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં સોમવારે રસ્તાની વચ્ચે અચાનક ટ્રક ઉભી રહી જવાના કારણે પાછળથી આવી રહેલી મિનીબસ તેની સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક ભારતીય શ્રમિકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે દુબઈમાં થયેલા દુઃખદ માર્ગ અકસ્માતથી અમે અત્યંત દુઃખી છીએ, જેમાં કેટલાય ભારતીય શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતીય મિશને જણાવ્યું કે તે શક્ય તમામ સહાય અને સમર્થન પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે.
ભારતીય દૂતાવાસે એક્સ (X) પર લખ્યું, “દુબઈમાં થયેલા એ દુઃખદ માર્ગ અકસ્માતથી અમને ઊંડું દુઃખ થયું છે, જેમાં કેટલાય ભારતીય શ્રમિકોના જીવ ગયા છે. અમારા અધિકારીઓએ હોસ્પિટલ જઈને ઘાયલ ભારતીયોની મુલાકાત લીધી છે અને તેઓ શક્ય તમામ મદદ અને સહયોગ આપવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમારી ઊંડી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિત પરિવારોની સાથે છે.”
દુબઈ પોલીસે માહિતી આપી દુબઈ પોલીસના ટ્રાફિક વિભાગના ડાયરેક્ટર બ્રિગેડિયર જુમા સાલેમ બિન સુવૈદાને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે ટ્રક અચાનક રસ્તાની વચ્ચે ઉભી રહી ગઈ હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, “બસ ચાલકે કથિત રીતે ધ્યાન આપ્યું ન હતું અને સુરક્ષિત અંતર રાખ્યું ન હતું અને ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી હતી.”