રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસો પહેલા જબરો રાજકીય ડ્રામા સર્જાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારોને તોડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાના 40થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે.
આપ અને કોંગ્રેસના ભાજપ તોડજોડની રાજનીતિ કરી ઉમેદવારોને તોડવા મહેનત કરતી હોવાના આક્ષેપ સામે ભાજપે પાયા વિહોણા ગણાવી જણાવ્યું હતું કે, અમે માત્ર વિકાસની રાજનીતિ કરીએ છીએ. અમારી લીટી લાંબી કરવામાં અમને રસ છે. બીજાની ભૂંસવામાં કોઈ રસ નથી.
‘ભાજપ હાર ભાળી ગઈ છે માટે કોઈ પણ હદે જઈ શકે છે’ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જેથી તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે. રાજકોટમાં અમારા કોંગ્રેસ પક્ષના 72 ઉમેદવાર છે જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર મોકલવામાં આવ્યા નથી.