ઈરાને કહ્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેશે અને જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અનુસાર, આ સમયગાળા દરમિયાન તમામ કોમર્શિયલ જહાજોને પસાર થવાની મંજૂરી અપાશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમનો ભંડાર અમેરિકાને સોંપવા માટે તૈયાર થઈ ગયું છે. એનરિચ્ડ યુરેનિયમનો ઉપયોગ પરમાણુ હથિયારો બનાવવા માટે થાય છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને એમ પણ કહ્યું કે બંને દેશ શાંતિ સમજૂતીની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે જો આ ડીલ થઈ જાય છે તો તેલનો પુરવઠો શરૂ થઈ જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે.
તેમણે એમ પણ કહ્યું કે જો સમજૂતી ઇસ્લામાબાદમાં થાય છે તો તેઓ પાકિસ્તાન પણ જઈ શકે છે. જોકે, ઈરાની મીડિયાએ ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ હવામાં વાતો કરી રહ્યા છે.
આ તરફ, હોર્મુઝ સંકટને લઈને આજે 40 દેશોની વર્ચ્યુઅલ બેઠક યોજાશે. ફ્રાન્સ અને બ્રિટન તેની અધ્યક્ષતા કરશે. આ બેઠક હોર્મુઝમાં નાકાબંધી અને તેનાથી દુનિયામાં તેલ અને પુરવઠા પર પડી રહેલી અસરને લઈને થશે. આ બેઠકમાં અમેરિકા સામેલ નહીં થાય.