પાકિસ્તાનના લાહોરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક સભ્ય આમિર હમઝા પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. હુમલા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોએ લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર તેના પર ગોળીબાર કર્યો. હુમલો કોણે અને શા માટે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી.
એક વર્ષથી પણ ઓછા સમયમાં આ બીજી વખત છે, જ્યારે હમઝા પર હુમલો થયો છે. આ પહેલા ગયા વર્ષે મે મહિનામાં પણ તેના ઘરની બહાર અજાણ્યા લોકોએ તેને ગોળી મારી હતી.
અગાઉના હુમલા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની અધિકારીઓએ તેની સુરક્ષા વધારી દીધી હતી, જોકે, તે ઘટના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું.