અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવકની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારના ભોલાભાઈ પાર્કમાં રહેતા સંદીપ મિશ્રાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ઈન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ વિરુદ્ધ પોતાના મોટા ભાઈ મિથિલેશ ઉર્ફે મુન્નોની હત્યાની ફરિયાદ નોંધાવી છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની સંદીપ મિશ્રા લાંબા સમયથી અમદાવાદમાં પરિવાર સાથે રહે છે. સંદીપ ગઈકાલે માધુપુરા માર્કેટ વિસ્તારમાં પોતાના કામકાજમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક 108 એમ્બ્યુલન્સ ત્યાં આવીને ઉભી રહી. આસપાસ ભીડ એકઠી થતી જોઈ સંદીપ પણ શુ થયુ છે તે જાણવા ત્યા પહોંચ્યો હતો.જ્યાં પહોંચતા જ તેની આંખો સામે જે દૃશ્ય આવ્યું તે જોઈ તે સ્તબ્ધ બની ગયો કારણકે લોહીથી લથબથ હાલતમાં તેનો મોટો ભાઈ મિથિલેશ જમીન પર પડ્યો હતો.ઘટનાસ્થળે હાજર 108ના કર્મચારીઓએ મિથિલેશને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, મિથિલેશ અને આરોપીઓ વચ્ચે ટુવ્હિલર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. બોલેરો પીકઅપ ડાલુ ચલાવતા ઈન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, લાલીપ્રસાદ અને આકાશ રાઉત સાથે થયેલી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી. સાક્ષીઓના કહેવા મુજબ, આરોપીઓએ ગુસ્સામાં આવીને મિથિલેશ પર પાઈપ, લોખંડના સળીયા અને બેલ્ટથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે મિથિલેશ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ માધુપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.પોલીસે સ્થળનો પંચનામું કરીને પુરાવા એકત્રિત કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.