પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત જામવાડી ખાતે વૃક્ષારોપણ કર્યા બાદ, અક્ષર મંદિર ખાતે વિશાળ ખેડૂત પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
જામવાડી ખાતે 2500 લોકોએ એકસાથે 2500 વૃક્ષો વાવ્યા હતા. સામાજિક વનીકરણ વિભાગ (રાજકોટ) અને જામવાડી ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી ‘નમો વન’ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ સ્થળે પધારતા જ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવોનું ગામની મહિલાઓ દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરાયું હતું. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણની શરૂઆત થઈ હતી.
જામવાડીની આસપાસ GIDC આવેલી હોવાથી પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ફોરેસ્ટ વિભાગે આ વિસ્તારમાં ચોથું જંગલ ઉભું કર્યું છે. અહીં પાણીની સગવડ માટે બોરવેલ બનાવાયો છે.
અક્ષર મંદિરમાં વિન્ટેજ કારમાં એન્ટ્રી, કૃષિ ઓજારોનું પ્રદર્શન જામવાડીના કાર્યક્રમ બાદ મહાનુભાવો અક્ષર મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં અક્ષર મંદિરના બેન્ડના સુરો અને સત્કાર વચ્ચે પ્રદેશ નેતાઓને વિન્ટેજ કારમાં બેસાડીને સત્સંગ હોલ સુધી લાવવામાં આવ્યા હતા. સત્સંગ હોલની બહાર ખેતીના ભવ્ય વારસાને ઉજાગર કરતું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ખેડૂતની શરૂઆત ક્યાંથી થઈ તેને લઈને ખેતીલક્ષી પ્રાચીન, આધુનિક ઓજારો પ્રદર્શિત કરાયા હતા, સત્સંગ હોલમાં ‘પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’ શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.