વિશ્વ સિંહ દિવસ નિમિત્તે, સિંહોના સંરક્ષણ અને જતન માટે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના વાસાવડમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી.
વાસાવડની શ્રી શામ સમજુ અજમેરા તાલુકા શાળા દ્વારા ‘સિંહ બચાવો અભિયાન’ અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોના સંરક્ષણ માટે લોકજાગૃતિ ફેલાવવાનો હતો.
આ રેલીમાં ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા આશરે 150 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ સિંહ સંરક્ષણના સંદેશાઓ સાથે રેલીમાં ભાગ લીધો.
શાળાથી શરૂ થયેલી આ રેલી વાસાવડ ગામના મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી. વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો, દેશ બચાવો” અને “આપણું ઘરેણું કોણ છે! ગુજરાતના કેશરી સિંહ છે” જેવા સૂત્રોચ્ચાર કરીને સિંહોના જતન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.