રાજકોટમાં આ વર્ષે અયોધ્યા રામ મંદિરની થીમ સાથે બાળકો, યુવાનો અને મહિલાઓએ રંગેચંગે ઊજવણી કરી હતી. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ ઉતરાયણ પર આકાશમાં પણ રામ મંદિર અને રામ ભગવાનની પ્રિન્ટવાળી પતંગોથી આકાશ રંગબેરંગી થયું.
ટેરેસ પર રંગબેરંગી પતંગો ઊડી ને ડીજેના ગીતો ગૂંજ્યા
આજે વહેલી સવારથી જ પતંગ રસીયાઓ ટેરેસ ઉપર પહોંચી ગયા છે. લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે અને સાથે સાથે ચા નાસ્તાની જયાફત ઉડાવી રહ્યા છે. કાઇપો છે…એ લપેટ…ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું છે. કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નીતનવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી રહ્યા છે.