રાજકોટના ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ઉમિયાધામ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે પાટીદાર સમાજને સોશિયલ મીડિયા સામે ચેતવ્યો હતો. રૂપાલાએ કહ્યું કે, સોશિયલ મીડિયાની આંધીના આક્રમણથી સમાજે પોતાના દીવાને બચાવવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, રૂપાલાએ લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે એક સભામાં ક્ષત્રિય સમાજ અંગે કરેલા ઉચ્ચારણોનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો તે પછી ક્ષત્રિય સમાજ રૂપાલા પર રોષે ભરાયો હતો અને તેમનો વિરોધ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક બન્યો હતો.
રૂપાલાએ કહ્યું કે, બજાર અને વાયુમંડળમાં સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તેવા જનજીવન વચ્ચેથી પસાર થઇ રહ્યા છીએ. વિશ્વભરમાં સોશિયલ મીડિયાની આંધી ચાલી રહી છે અને આપણે તેનાથી બાકાત રહી શકવાના નથી. પરંતુ આપણે આપણા દીવાને બે હાથની આડશ રાખી સોશિયલ મીડિયાના તેજ પવનના ઝપાટાથી રાખી બચાવવો જોઇએ તેની આવશ્યકતા છે તેમ હું દરેક પરિવારને વિનંતી સાથે કહું છું.