રાજકોટ નજીક આવેલા માલિયાસણ ગામની સીમમાં આવેલી કિંમતી જમીનના વેચાણ પેટે રૂપિયા 51 લાખ લઇ લીધા બાદ વિધવાને દસ્તાવેજ ન કરી દેવાનો મામલો હવે કુવાડવા પોલીસ મથકમાં પહોંચ્યો છે. મહિલાએ રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન અને તેના સગા નાના ભાઇ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવા લેખીતમાં માંગ કરી બન્ને સામે છેતરપીંડીનો ગુનો નોંધવા પણ જણાવવામાં આવ્યું છે.
રાજકોટના અણીયારા ગામે રહેતાં કાંતાબેન મનજીભાઇ વઘાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇને લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના પતિ હયાત હતા ત્યારે માલિયાસણના રેવન્યુ સર્વે નં.-233 પૈકી 4, 333/1 પૈકી 22 તથા 333/1 પૈકી 23ની કુલ મળી 10 એકર 10 ગુઠ્ઠા જમીન જીવણ જાદવ જાગાણી અને તેમના સગા નાનાભાઇ ઇશ્વર જાદવ જાગાણી પાસેથી રૂપિયા 4.10 કરોડમાં વેચાણથી લેવાનું નક્કી થયું હતું. તેના અવેજ પેટે રૂપિયા 51 લાખ આરડીસી બેંકના ત્રંબા શાખાના અલગ-અલગ ત્રણ ચેકથી વર્ષ 2010માં ચુકવી આપ્યા હતા.