સુરતના કતારગામમાં રત્નકલાકારે તેના જ મેનેજરને બાઈક સળગાવી હોવાના CCTV સામે આવ્યા છે. રત્નકલાકારના પગારના બાકી નીકળતા માત્ર 652 રૂપિયા મેનેજર બીજા દિવસે લેવા આવવાનું કહેતા રત્નકલાકાર ઉશ્કેરાઇ ગયો હતો. તેથી ઉશ્કેરાટમાં પાર્કિગમાં રાખેલી મેનેજરને 20 હજારની બાઈકમાં દીવાસળી ચાંપીને ફરાર થઈ ગયો હતો. જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ તો મેનેજરે બાઈકમાં આગ સળગાવનાર રત્નકલાકાર સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ બંબાવાડીમાં આવેલા હીરાના કારખાનામાં 39 વર્ષીય સંજય મોહનભાઈ વઘાસીયા મેનેજર તરીકે કામ કરે છે. તેઓને ત્યાં રત્નકલાકાર તરીકે કામ કરતો 35 વર્ષીય પંકજ વિઠ્ઠલભાઈ પટેલ તેમની પાસે આવ્યો હતો અને પગારના બાકી નીકળતા 652 રૂપિયા માંગ્યા હતા. જોકે સંજય પટેલે પંકજને બીજા દિવસે સવારે આપીશ તેમ કહી બીજા દિવસે સવારે કામ પર બેસી જવા કહ્યું હતું. જોકે, પંકજે મારે કામ પર બેસવું નથી હવે હું પગાર લેવા આવીશ નહી તેમ કહીને જતો રહ્યો હતો. સાંજે ચારેક વાગ્યે પંકજ ફરી કારખાના પર આવ્યો હતો અને નીચે પાર્કિંગમાં રાખેલી સંજય પટેલની 20 હજારની બાઈકમાંથી પેટ્રોલની નળી કાઢી દીવાસળી ચાંપીને સળગાવી દીધી હતી.