ઉપલેટામાં મહાદેવના ઉપનામથી ઓળખાતા રાજુભાઈ શુકલની શ્રાવણ માસ દરમિયાન ચાલતી સેવા આસ્થા સાથે માનવસેવાનું ઉદાહરણ બની છે.
તેઓ વર્ષોથી આખા શ્રાવણ માસ દરમિયાન શહેરમાં ઘેરઘેર જઈ લોકોને નિઃશુલ્ક બિલ્વપત્ર પહોંચાડે છે. મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા સાથે શરૂ કરેલી આ સેવા તેઓ કોઈ અપેક્ષા વિના સતત નિભાવી રહ્યા છે.
કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપ્યા બાદ પણ રાજુભાઈ શુકલ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત સક્રિય છે. સવારે સાયકલ પર છાપાની ફેરી કરે છે અને દિવસ દરમિયાન ઓટોરિક્ષા ચલાવે છે. આ દરમિયાન સામાન્ય અને ગરીબ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે તેઓ રિક્ષાભાડું પણ લેતા નથી.
શ્રાવણ માસ દરમિયાન મહાદેવના ભક્તોને ઘેરબેઠા બિલ્વપત્ર મળી રહે તે માટે તેઓ દરરોજ આ સેવા કરે છે. જે ધર્મપ્રેમી લોકોને બિલ્વપત્ર જોઈતાં હોય તેઓ પાંજરાપોળ રોડ પર આવેલા ગોપાલ બુક સ્ટોર ખાતે પોતાની જરૂરિયાતની નોંધણી કરાવી શકે છે.