મારી જવાની-બેડરૂમના સપના જોવાનું બંધ કરો!

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે યોગગુરુ બાબા રામદેવ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં કંગનાએ દેશની Gen Z પેઢીને ‘ગટર જનરેશન’ કહી હતી, જેના પર બાબા રામદેવે વિરોધ નોંધાવ્યો હતો અને અભિનેત્રીના ભૂતકાળ તેમજ અંગત જીવન પર સવાલો ઉઠાવ્યા હતા. હવે આ નિવેદનનો પલટવાર કરતા કંગનાએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કર્યા છે.

‘મારી જવાની કે બેડરૂમ વિશે સપના જોવાનું બંધ કરો’

કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોટ શેર કરીને બાબા રામદેવ પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું, ‘બાબાજી, મારી જવાની કે બેડરૂમ વિશે દિવસે સપના જોવાનું બંધ કરો. કોઈ વ્યક્તિ માત્ર અફવાઓ અને પંચાતના આધારે જ અંદાજ લગાવી શકે છે.’

કંગનાએ પતંજલિ સાથે જોડાયેલા વિવાદો અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા આગળ કહ્યું કે, ‘ઓછામાં ઓછું મને ક્યારેય સુપ્રીમ કોર્ટ તરફથી નકલી કે ફ્રોડ મેડિકલ દાવાઓ માટે ફટકાર નથી પડી. આ વાત પાક્કા તથ્યો પર આધારિત છે, કોઈ પંચાત કે અંદાજા પર નહીં. એટલા માટે મને ચારિત્ર્ય વિશે શીખવવાનો પ્રયાસ ન કરો. મારું ચારિત્ર્ય તમારા કરતાં ઘણું સારું છે અને અહીં કોઈ ધોખાધડી નથી.’

શું હતો સમગ્ર વિવાદ? આ સમગ્ર વિવાદની શરૂઆત બાબા રામદેવના એક ઇન્ટરવ્યુથી થઈ હતી. જ્યારે તેમને કંગનાના Gen-Zને ‘ગટર જનરેશન’ કહેવાના નિવેદન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંગનાના ભૂતકાળ પર ટિપ્પણી કરી હતી. રામદેવે કહ્યું હતું કે, ‘તેમનું બાળપણ કેવું રહ્યું છે? તેમની જવાની કેવી રહી છે? તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા માંગતો નથી.’

બાબા રામદેવે કંગનાના નિવેદનની સખત નિંદા કરતા કહ્યું હતું કે દેશના યુવાનો માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો બિલકુલ અયોગ્ય છે. તેમણે કહ્યું કે દેશના યુવાનોને ગટર કહેવું એ બગડેલી માનસિકતાની નિશાની છે અને કંગનાની પાર્ટી (BJP)ના વરિષ્ઠ લોકોએ આ નિવેદનની નોંધ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *