શાપર વેરાવળમાં હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટ જિલ્લાના શાપર (વેરાવળ) ખાતે સગા સાઢુની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ (ઉંમર 36) ને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં 34 વર્ષીય બ્રીજવિહારીસીંગ ધ્રુપનારાયણસિંહનું મોત નીપજ્યું હતું.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 12 ઓગસ્ટ, 2026ના રોજ સવારે બની હતી. આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પોતાના પુત્ર રિતેશસિંહને માર મારી રહ્યો હતો. રિતેશસિંહ ફરિયાદી સજુબેનની ઓરડીમાં જતા, આરોપી તેને લેવા ત્યાં પહોંચ્યો હતો. ફરિયાદીએ રિતેશસિંહને આપવાની ના પાડતા, આરોપીએ બોલાચાલી કરી ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી, જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

આ દરમિયાન આરોપીએ ઇજાગ્રસ્ત સાક્ષી બ્રીજવિહારીસીંગ ધ્રુપનારાયણસિંહ (ઉંમર 34) સાથે પણ મારામારી કરી તેમને છત પરથી નીચે ફેંકી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બ્રીજવિહારીસીંગને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 12 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી અગાઉ નોંધાયેલા ગુનામાં BNS કલમ 103(1) હેઠળ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. મૃતક અને આરોપીની પત્નીઓ બહેનો થતી હોવાથી તેઓ સગા સાઢુભાઈ હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલાની સૂચનાથી શાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. રાણાએ સર્વેલન્સ સ્ટાફ અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

ટેકનિકલ સોર્સના આધારે પોલીસે શાપર વેરાવળ વિસ્તારમાંથી આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ (ઉંમર 36, ધંધો વેપાર) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ આર.બી. રાણા સહિત શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *