ગોંડલના જાણીતા નૃત્ય કલાકાર ચેતન જેઠવા અને તેમની ટીમ ભારત સરકારના વિદેશ મંત્રાલયના આમંત્રણથી આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે જશે. આ ટીમ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં રાસ-ગરબા રજૂ કરીને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરશે.ચેતન જેઠવા તેમના 9 વિદ્યાર્થીઓ સાથે 12 થી 31 ઓગસ્ટ સુધીના 20વસીય પ્રવાસ દરમિયાન કુલ 20 રાસ-ગરબાના શો કરશે.
આમાં મોઝામ્બિકમાં ૧૨, દક્ષિણ આફ્રિકામાં 4 અને કેન્યામાં 4પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. આ સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ માટે ભારત સરકારે તમામ સભ્યોને ઓફિશિયલ (વ્હાઇટ) પાસપોર્ટ આપ્યા છે.આ પ્રવાસ સાથે કલાકાર ચેતન જેઠવા ત્રીજી વખત ભારત સરકારના ઓફિશિયલ પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરશે. તેઓ સંભવતઃ પ્રથમ ગુજરાતી કલાકાર છે જેમને આ સિદ્ધિ મળી છે. આ ઉપરાંત, તેઓ છઠ્ઠી વખત વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં પાંચ વખત ભારત સરકાર દ્વારા અને એક વખત ગુજરાત સરકાર દ્વારા પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે.આ તેમની ૨૩ દેશોમાં ૩૨મી વિદેશયાત્રા હશે, જેમાંથી ૩૦ પ્રવાસો ફક્ત રાસ-ગરબાના પર્ફોર્મન્સ અને વર્કશોપ માટે જ રહ્યા છે. ચેતન જેઠવાના માર્ગદર્શન હેઠળ વિદેશયાત્રા કરનારા ગોંડલના વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ પર પહોંચશે, જ્યારે વ્હાઇટ પાસપોર્ટ પર પ્રવાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮ થશે.આ પ્રવાસ દ્વારા ગુજરાતી લોકસંસ્કૃતિ અને ભારતીય વિરાસતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળશે.