સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં ચાલી રહેલા શેરબજારના ડીલિંગ મુદ્દે રેન્જ આઈજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સંજયસિંહ રાઠોડના ઘરમાંથી આ સમગ્ર નેટવર્કનું ઓપરેટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા તેમને સસ્પેન્ડ કર દેવામાં આવ્યો છે અને આજે બે દિવસ બાદ હજુ પણ તે પોલીસ પકડથી દૂર છે.
23 લોકો સામે ગુનો નોંધી 6 શખ્સોની ધરપકડ કરી ઉલ્લેખનીય છે કે ડબ્બા ટ્રેડિંગના આ કેસમાં શેર બજારમાં હાર અને જીતની રકમનો જુગાર રમાડવામાં મુંબઈ સહિતના રાજ્યોના વેપારીઓ સાથે ટેલિફોનિક રીતે એપ્લિકેશનના મારફતે ડીલીંગ કરવામાં આવતી હોવાનું પણ સામે આવતા 23 લોકો સામે ગુનો નોંધી 6 શખ્સોની ધરપકડ કરી 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ માટે SITની રચના કરી તપાસ ASP સીમરન ભારદ્વાજને સોંપવામાં આવી છે. જેતપુર પોલીસ દ્વારા લેપટોપ, પેન ડ્રાઈવ, મોબાઈલ ફોન અને સીમકાર્ડનો સાહિત્ય કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 29 મોબાઈલ 10 લેપટોપ 50થી વધુ સીમકાર્ડ 27 નોટ બૂકો ચાર પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ IG ટીમે 5 ઓગસ્ટના રોજ ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના રતનપર રામેશ્વર ટાઉનશીપ ખાતે ASI સંજયસિંહ નાથુભાઇ રાઠોડ પોતાના સાગરીતો સાથે મળીને ડબા ટ્રેડિંગની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલભાઇ કરશનભાઇ સિંધવ, અરૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી, દલસુખભાઇ કરશનભાઇ સિંધવ, વિજયભાઇ ગોવિંદભાઇ દેત્રોજા, નાથુભા કાનાભા રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે મુખ્ય સૂત્રધાર પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઇ રાઠોડ તથા તેમની સાથે સંકળાયેલા કુલ 16 બ્રોકરો પોલીસ પકડથી દૂર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર આ બ્રોકરોમાં જતીન, લાલો, નિતેશ, એમએનટી, અજય, ડી.આર., સી.સી., આકાશ, ચિરાગ, કે.પી., સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ, આકાશ અને પ્રશાંતનો સમાવેશ થાય છે.