રાજકોટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા રસ્તા પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે ગત શનિવારે (1 ઓગસ્ટ) બનેલી ખૂની હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ભક્તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં લીંબડી હાઈવે પરથી મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઝડપી લીધા બાદ, આજે આ ભયાનક હત્યાકાંડમાં મદદગારી કરનાર તેના મિત્ર આનંદ પરમારની પણ સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલો આરોપી આનંદ પરમાર મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહનો મિત્ર છે. ઘટના સમયે મૃતક ઘનશ્યામસિંહ વાઘેલા કારમાં બેઠા હતા ત્યારે આનંદ પરમારે “ગાડીમાંથી બહાર આવો તમારું કામ છે” તેમ કહી તેમને બહાર બોલાવ્યા હતા. ઘનશ્યામસિંહ જેવા કારમાંથી બહાર આવ્યા કે તુરંત જ તેમની પર છરી વડે તીક્ષ્ણ હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી હતી.