જસદણ સ્થિત એએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં એએસપી નવીન ચક્રવર્તી, તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈઓ, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લોક દરબાર દરમિયાન નાગરિકોએ વિવિધ સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતો જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરી હતી. રજૂ થયેલા અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરે સ્થાનિકો સાથે સીધો સંવાદ કરી કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક, જાહેર સુરક્ષા તેમજ અન્ય જનહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે વધુ સુમેળ અને સંકલન જળવાઈ રહે તે માટે સહયોગ આપવાની અપીલ પણ કરી હતી.
લોક દરબારના આયોજનથી નાગરિકોને પોતાની સમસ્યાઓ સીધી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તક મળી હતી, જેના કારણે સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.