પડધરીના ખાખડાબેલા ગામે પોક્સો કેસમાં ચાર્જશીટ પહેલાં સહઆરોપીને જામીન

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મના ગંભીર કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં જ તપાસના તબક્કે સહઆરોપી નરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જ બનાવના અનુસંધાને થોડા સમયે એક હત્યાનો ગુનો પણ નોંધાયો હતો. તેમજ તપાસમાં બેદરકારીના આક્ષેપોને પગલે પડધરી પોલીસ સ્ટેશનના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

3 સામે પોક્સોનો ગુનો નોંધાયો ભોગ બનનારે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ પરિવારને જણાવ્યું હતું કે ગામના ત્રણ વ્યક્તિઓએ અલગ-અલગ સમયે ધમકી આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના આધારે પડધરી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 376(2)(એ), 114 તેમજ પોક્સો અધિનિયમની કલમ 6 હેઠળ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, અજયસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીકસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો હતો.

આરોપીએ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા અન્ય આરોપીઓને આશરો અને મદદગારી કરવાનો આરોપ મૂકી નરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદમાં અરજદારનું નામ કે કોઈ ચોક્કસ ભૂમિકા દર્શાવવામાં આવી નથી. માત્ર અન્ય આરોપીઓના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

બંને પક્ષોની દલીલના અંતે કોર્ટે શરતી નિયમિત જામીન આપ્યા અરજદારે ભોગ બનનાર સામે કોઈ દુષ્કૃત્ય કર્યું નથી અને મદદગારી અંગે પણ કોઈ સ્વતંત્ર પુરાવો ઉપલબ્ધ નથી, તેથી માત્ર આક્ષેપોના આધારે તેમને જેલમાં રાખી શકાય નહીં તેમજ જામીન નિયમ છે અને જેલ અપવાદના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી જામીન આપવા જોઈએ. બંને પક્ષોની દલીલના અંતે રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી નરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાને શરતી નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *