ભારત અને જાપાન વેપારમાં અમેરિકી ડોલરની ભૂમિકા ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. નિક્કી એશિયાના રિપોર્ટ અનુસાર, બંને દેશો એવી વ્યવસ્થા બનાવવા પર કામ કરી રહ્યા છે, જેનાથી કારોબારની ચુકવણી સીધી ભારતીય રૂપિયા અને જાપાનીઝ યેનમાં થઈ શકે.
આ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીની નવી દિલ્હીમાં યોજાનારી બેઠક બાદ જાહેરાત કરવામાં આવી શકે છે.
સાને તાકાઇચી આજે 3 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા પછી આ તેમનો પહેલો ભારત પ્રવાસ હશે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી 16મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમોબાઇલ, સપ્લાય ચેઇન અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.
જો ભારત અને જાપાન વચ્ચે ચુકવણી સંબંધિત આ પ્રસ્તાવ લાગુ પડશે, તો બંને દેશો વચ્ચે પ્રથમ વખત સ્થાનિક ચલણમાં વેપાર માટે ઔપચારિક વ્યવસ્થા બનશે.
આ યોજના હેઠળ, જાપાની કંપનીઓ ભારતીય બેંકોમાં વિશેષ ખાતા ખોલીને સીધા રૂપિયા અને યેનમાં વ્યવહાર કરી શકશે. એટલે કે, વ્યવહાર માટે અમેરિકી ડોલર અથવા કોઈ ત્રીજા દેશની બેંકની જરૂર પડશે નહીં.
આ વ્યવસ્થાથી વિદેશી મુદ્રા બદલવાનો ખર્ચ ઘટશે, પૈસા મોકલવાનો ખર્ચ ઘટશે અને ચુકવણી પહેલાં કરતાં ઝડપથી થઈ શકશે. બંને દેશોને આશા છે કે આનાથી વેપાર કરવો સરળ બનશે અને કંપનીઓનો સમય અને પૈસા બંને બચશે.