મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મી) તાલુકાના હરિપર ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છમાં મા આશાપુરાના દર્શન કરીને પરત ફરી રહેલા દીવના એક જ પરિવારની ઈકો ગાડીનું ટાયર અચાનક ફાટતાં કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે ગાડી ડિવાઇડર કૂદીને સામેની લેનમાં ધસી ગઈ હતી અને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં બે માસૂમ બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગીર સોમનાથના અને હાલ દીવ ખાતે રહેતા કાપડિયા પરિવારના સભ્યો પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં પ્રખ્યાત ધાર્મિક સ્થળ માતાના મઢે દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરીને આખો પરિવાર અત્યંત ખુશી સાથે દીવ તરફ પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન માળિયા તાલુકાના હરિપર ગામના પાટિયા પાસેથી પસાર થતી વખતે કાળમુખા અકસ્માતે આ હસતા-રમતા પરિવારને પોતાની ચપેટમાં લીધો હતો.
ગાડીનું ટાયર અચાનક ફાટી જતાં ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે ગાડી પલકવારમાં ડિવાઇડર કૂદી સામેના ટ્રેક પર ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.