ગેરકાયદેસર બાંધકામના કેસમાં સોમવારે કોલકાતા પોલીસની એક વિશેષ ટીમ TMC મહાસચિવ અભિષેક બેનર્જીના હરીશ મુખર્જી રોડ પર આવેલા ઘર ‘શાંતિનિકેતન’ પહોંચી. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ની નોટિસ બાદ પોલીસે આ કાર્યવાહી કરી.
સૂત્રો અનુસાર, ગેરકાયદેસર ભાગને તોડી પાડવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. નોટિસને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે ત્યાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
કોલકાતા મ્યુનિસિપાલિટીની નોટિસના જવાબમાં અભિષેક બેનર્જીએ રવિવારે મ્યુનિસિપલ અધિકારીઓને પત્ર લખીને 14 દિવસનો સમય માંગ્યો હતો. જોકે, વહીવટીતંત્રે હજુ સુધી કોઈ કારણ જણાવ્યું નથી.
આ સમગ્ર મામલે કોલકાતાના મેયર અને TMC ધારાસભ્ય ફિરહાદ હકીમે જણાવ્યું કે તેમને નોટિસ વિશે કોઈ જાણકારી નથી.
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) અનુસાર, અભિષેક બેનર્જી, તેમની કંપની અને પરિવાર સાથે સંકળાયેલી 17 મિલકતો તપાસના દાયરામાં છે. KMCનો આરોપ છે કે આ મિલકતોના નિર્માણમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. KMC એક્ટ, 1980ની કલમ 400(1) હેઠળ તમામ 17 સરનામાઓ પર નોટિસ ચોંટાડવામાં આવી છે.
KMCના એસેસમેન્ટ વિભાગે શરૂઆતમાં બેનર્જી સાથે સંકળાયેલી આવી 42 મિલકતોની યાદી તૈયાર કરી હતી, જેને બાદમાં ઘટાડીને 17 કરવામાં આવી છે.