ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લિગામેન્ટની ઈજાને કારણે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની પ્લેઇંગ-11માંથી બહાર થઈ ગયો છે. આ મેચ રવિવારે 29 ઓક્ટોબરે લખનઉમાં રમાશે. આ મેચ માટે તે ટીમ ઈન્ડિયા સાથે લખનઉ ગયો નથી. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગલુરુમાં છે અને તેની ઈજાની સારવાર ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેની ઈજા ઠીક નહીં થાય તો તે 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા અને 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
પુણેમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. નવમી ઓવરના ત્રીજા બોલ પર તેની પગનો એન્કલ ટ્વિસ્ટ થઈ ગયો હતો. તે પોતે ક્રિઝ પર બેસી ગયો. ગંભીર ઈજાના કારણે તે બાકીની મેચ રમી શક્યો નહોતો. તેની ઓવર પણ વિરાટ કોહલીએ પૂરી કરી હતી.
પંડ્યા 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પણ રમ્યો નહોતો. તે પુણેથી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ગયો. હાલમાં તે NCAમાં જ ડોકટરોની દેખરેખ હેઠળ રિહેબિંગમાં છે.