શાપર-વેરાવળમાં રહેતા એક યુવાને અસહ્ય દુખાવા અને બીમારીની પીડાથી કંટાળીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાયની ઢીકે ચડતાં પગ ભાંગી ગયા બાદ ડાયાબિટીસને કારણે ઓપરેશન શક્ય ન બનતાં અંતે યુવાને જીવલેણ પગલું ભર્યું હતું.
માહિતી મુજબ, શાપર-વેરાવળના ભૂમિ ગેટ વિસ્તારમાં રહેતા નિતેશ નાજાભાઈ મકવાણા (ઉ.વ.20)એ મંગળવારે સવારે એસિડ પી લેતાં તેને તાત્કાલિક સારવાર માટે પહેલા શાપરમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજતાં પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો.પરિવારજનોએ આપેલી માહિતી મુજબ, નિતેશને લાંબા સમયથી ડાયાબિટીસની બીમારી હતી, જેના કારણે તે નિયમિત કામકાજ કરી શકતો નહોતો. અંદાજે દસ દિવસ પહેલાં તે રસ્તા પર ચાલતો હતો ત્યારે અચાનક ગાયની ઢીકે ચડી જતાં તેનો પગ ભાંગી ગયો હતો. સામાન્ય રીતે ઓપરેશનથી સારવાર શક્ય હોવા છતાં ડાયાબિટીસને કારણે તબીબોએ સર્જરી ટાળવાની સલાહ આપી હતી.
આ કારણે સતત રહેતા દુખાવાથી નિતેશ માનસિક રીતે વ્યથિત રહેતો હતો. અંતે દુખાવો સહન ન થતાં કંટાળીને તેણે એસિડ પી આપઘાત કરી લીધો હોવાનું સગાઓએ જણાવ્યું હતું.