રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટનામાં વૃદ્ધ દંપતીએ ગણતરીના કલાકોના અંતરે જીવન ટૂંકાવી લેતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પત્નીએ વહેલી સવારે બીજા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો, જ્યારે બપોરે પતિએ અંતિમક્રિયા પતાવીને ઘરે પરત ફરી ઝેર પી લેતાં તેમનું મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ગુંદાવાડી શેરી નં.15માં રામજી મંદિરના ચોરા પાસે આવેલા શ્રીરામ ફ્લેટમાં રહેતા કમળાબા બળવંતસિંહ જાડેજા(ઉ.વ.65)એ બુધવારે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટના બીજા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ ઘટનાથી પરિવારજનો તેમજ આસપાસના લોકોમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.
પત્નીના મૃત્યુ બાદ બપોરે આશરે અઢી વાગ્યે કમળાબાની અંતિમક્રિયા પૂર્ણ કરી પતિ બળવંતસિંહ ભગુભા જાડેજા (ઉ.વ.72) ઘરે પરત ફર્યા હતા. પત્નીના વિયોગને સહન ન કરી શકતા તેમણે ઘરે આવી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ તપાસતાં જ મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતીને સંતાન નહોતું. ઉપરાંત, એક મહિના પૂર્વે બળવંતસિંહને કેન્સર હોવાનું નિદાન થતાં બંને પતિ-પત્ની માનસિક રીતે ભારે હતાશમાં રહેતા હતા. પોલીસે બંને બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.