રાજકોટ નજીક આણંદપર ગામે ભરતભાઈની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખેત મજૂર બહાદુરભાઇનો 3 વર્ષનો પુત્ર પ્રિન્સ આજે સવારે 8 વાગ્યા આસપાસ વાડીએ પોતાના ઘર પાસે રમતો હતો અને તેના પિતા કુંવાની પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા જ્યારે માતા ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે રમતા રમતા 3 વર્ષીય પ્રિન્સ વાડીમાં પાણીની કુંડી પાસે પહોંચી ગયો હતો અને પાણીની કુંડીમાં પડી ગયો હતો.
પિતા મોટર ચાલુ કરીને ઘરે આવ્યા અને પુત્ર જોવા ન મળતા પોતાની પત્નીને પૂછ્યું કે પ્રિન્સ ક્યાં છે? જો કે તે મળી ન આવતા તેની શોધખોળ કરતા કુંડીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેને તાત્કાલિક રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બહાદુરભાઇને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓ 1 વર્ષ પહેલા જ અહીં ખેત મજૂરી માટે આવ્યા હતા. માસુમ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.
ગુંદાવાડીમાં બીજા માળેથી પડી જતા 65 વર્ષીય વૃધ્ધાનું મોત કમળાબા બળવંતસિંહ જાડેજા (ઉ.વ.65) આજે વહેલી સવારના 4.30 વાગ્યા આસપાસ પોતે પોતાના ફ્લેટે હતા ત્યારે બીજા માળેથી પડી જતા ગંભીર ઈજા થઈ હતી. બનાવની જાણ થતા 112 જનરક્ષક ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઇ તપાસી કમળાબાને મૃત જાહેર કર્યાં હતા અને બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પતિ બળવંતસિંહ નિવૃત્ત છે. મૃતક કમળાબા વહેલી સવારે ઊઠીને નીચે ઉતરતા હતા ત્યારે અકસ્માતે પડી ગયાનું અનુમાન છે.