ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન તેલની નિકાસ નહીં કરી શકે, તો પાઈપલાઈનમાં દબાણ વધશે. આવું એટલા માટે થશે કારણ કે તેલને જહાજો કે સ્ટોરેજ ટેન્કોમાં મોકલવાનો રસ્તો બંધ છે અને તેના પર નાકાબંધી લાદવામાં આવી છે.
તેમણે દાવો કર્યો કે જ્યારે તેલનો પ્રવાહ અચાનક રોકવો પડે છે, ત્યારે પાઈપલાઈનની અંદર દબાણ ઉભું થાય છે અને ટેકનિકલ તથા કુદરતી કારણોસર તે ફાટી શકે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જો આવું થશે તો પાઈપલાઈનને પહેલા જેવી હાલતમાં ફરીથી બનાવવી લગભગ અશક્ય હશે અને તેની ક્ષમતા પણ નોંધપાત્ર રીતે ઘટી જશે.
ઈરાને અમેરિકા સાથેની સમજૂતી અંગે કડક વલણ અપનાવ્યું છે. તેણે કહ્યું છે કે ન્યુક્લિયર પ્રોગ્રામ અને હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ સંદેશ પાકિસ્તાન દ્વારા અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે. ઈરાને આ બંને મુદ્દાઓને પોતાની ‘રેડ લાઇન’ ગણાવ્યા છે અને કહ્યું છે કે આના પર કોઈ પણ પ્રકારની સમજૂતી શક્ય નથી.
સાથે જ, એ પણ સ્પષ્ટ કર્યું કે આ કોઈ ઔપચારિક વાતચીત નથી, પરંતુ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની એક રાજદ્વારી પહેલ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આ સમગ્ર મામલે નિર્ધારિત મર્યાદામાં રહીને પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી એકવાર ફરી પાકિસ્તાન પહોંચ્યા
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી એકવાર ફરી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા છે. બે દિવસમાં આ તેમનો બીજો પ્રવાસ છે. આ દરમિયાન તેઓ પાકિસ્તાની નેતાઓ સાથે મુલાકાત કરશે. ઈસ્લામાબાદમાં થોડો સમય રોકાયા બાદ અરાઘચી રશિયા જવા રવાના થશે.
આ પહેલા તેમણે શનિવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાનની શરતો અને અમેરિકાની માંગણીઓ પર પોતાની આપત્તિઓ પાકિસ્તાનને સોંપી હતી.