રાજકોટમાં ગઇકાલે સવારના સમયે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં નચીકેતા સ્કૂલની બાજુમાં સ્થિત નંદન હિલ્સ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી.
ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને આ અંગેની જાણ થતા જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. અને આગને કારણે ધુમાડામાં ફંસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, જીવરાજ પાર્કમાં આવેલા નંદન હિલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં. 201 માં રહેતા જ્યાબેન મોહનભાઈ મોનપરાના મકાનમાં સવારના સમયે રસોઈ કામ ચાલુ હતું ત્યારે ચિમનીમાં આગ લાગી હતી. મકાન માલિકના જણાવ્યા અનુસાર, રસોઈ દરમિયાન ચિમની સળગતા આગ જોતજોતામાં સંપૂર્ણ મકાનમાં પ્રસરી ગઈ હતી. આગમાં મકાનમાં રહેલા ટીવી, ફ્રીજ, સોફા, ચિમની તેમજ અન્ય ફર્નિચર સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.