રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પરસ્ત્રી સાથેના સંબંધોને લઈ દંપતી વચ્ચેનો વિવાદ હિંસક બનતા પતિએ પત્ની પર હુમલો કરી ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
રૈયાધાર 13 માળિયા આવાસમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં હાઉસકિપિંગ તરીકે કામ કરતી ભારતીબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.39) નામની મહિલાએ તેમના પતિ દિનેશ નાથા પરમાર વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
ભારતીબેને જણાવ્યા મુજબ, વર્ષ 2006માં તેઓએ પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં 2014માં સામાજિક રીતે પણ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેઓને સંતાનમાં 12 વર્ષનો પુત્ર સિદ્ધાર્થ અને એક પુત્રી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમનો પતિ અન્ય સ્ત્રી સાથેના પ્રેમસંબંધમાં હોય તે બાબતે પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ જતો હતો.
પતિ પત્નીને ધમકાવતો પણ હતો કે, “તારે આ બાબતે દખલગીરી કરવી નહીં અને હું કહું એમ જ કરવાનું.’ પતિના ત્રાસથી કંટાળીને અને પુત્રીની ધોરણ-10ની પરીક્ષા હોવાને કારણે ભારતીબેન વીસેક દિવસ પહેલા જ બાળકો સાથે તેમના સાસુ-સસરાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા.
ગત તા. 18ના રોજ રાત્રિના સમયે દિનેશ પરમાર પત્નીને લેવા માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. પત્નીએ સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને દરવાજા પર પાટા મારી ઘરમાં ઘૂસ્યો હતો.
તેણે પત્નીને ઢીકાપાટુનો માર મારીને ધમકી આપી હતી કે, “જો તું મારી સાથે નહીં આવે તો તને ધાબા પર લઈ જઈ નીચે ફેંકી મારી નાખીશ.’